ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

એક જીવન, એક ધ્યેય (લક્ષ)


આપણા જીવનનો હેતુ શું? આપણે શા માટે જીવીયે છીએ? અનેક જવાબ હોય શકે, જેમ કે જન્મ્યો એટલે જીવું છું, મોત આવતું નથી એટલે જીવુ છું, મારે મોજ કરવી છે એટલે જીવુ છું, મારા પરીવાર માટે જીવુ છું, હું કંઈક બનવાં માગું છું એટલે જીવુ છું, હું અત્યારે અને ભવીષ્યમાં પ્રસિધ્ધ થવાં ઇચ્છુ છું એટલે જીવુ છું. એક યુવાન કહે છે કે મારે ડોક્ટર થવું છે, એ ડોક્ટર બને એટલે તેનો વ્યવસાયીક ધ્યેય સિધ્ધ થયો. પરંતુ હજુ તેને જીવન હેતુ વિહિન લાગે છે. વાત અહિં પૂરી થતી નથી માનો કે મારે પોતાની હોસ્પિટલ છે, તો ઇચ્છીત મળ્યાની ખુશી જરુર છે પણ જીવનમાં હજુ કઈંક ખુટે છે. જીવન ઉદ્દેશ હજુ એક કોયડો છે. એક બેફિકર યુવાન કહે છે હું જીવનને માણવા માંગુ છું, તે કેટલીક રૂપસુંદરીઓ સાથે હરે ફરે છે, કેટલીક સાથે લીવ-ઇન રીલેશનશીપથી જીવે છે, પણ આખરે તે ભાંગી પડે છે. જેમાંથી આનંદ મેળવવાનું તેને વિચાર્યુ તે જ સ્વભાવથી ક્ષણભંગુર હતું. દરેક આઘાત તને વધારે ભગ્ન, હારેલો અને એકલો છોડી દે છે. આપણે શા માટે જીવીયે છીએ? દરેક તબક્કે જવાબ અલગ હશે, ઇચ્છા પૂર્ણ થવા છતાં એ તબક્કો પૂર્ણ થઇ જતા ત્યાં સંતોષ હશે નહિ. માનવીય ઇચ્છાઓનો કોઇ અંત નથી, તેની પૂર્તી પછી પણ અસંતુષ્ટ રહે છે. આવું શા માટે ?

બે પ્રશ્નો ઉદભવે ત્યારે જ ખરું જીવન પ્રારંભ થાય છે, શું હું આ કરવા માટે સક્ષમ છું? હું સામાન્ય જીવન જીવવા માંગતો નથી ને ? એકનાથજી કહે છે કે જો કોઇ એકાદ-બે માણસ તે કામ કરી શકે તો હું પણ તે કરી શકું. શું હું નબળી માટીનો છું? (શું હું અક્ષમ છું?) હું પણ દિવ્યાત્મા છું. સંતાપ આપનારી ઇચ્છાઓની પૂર્તી પછી મનુષ્ય પોતાની આસપાસ જુએ છે, કુદરતને સમજવા મથે છે, તેની સમજમાં પ્રકૃતીના અમુક સિધ્ધાંતો આવે છે, જગતનું અસ્તિત્વ કોઇ અકસ્માત નથી, કુદરતમાં ચોક્કસ નીયમો છે. સુર્યનું ઊગમ, નદીનું વહેવું, વ્રુક્ષનું વિકસવું, ફળ ફુલનું ખિલવું અને પર્વતનું  અડગ રહેવું, ચોક્કસ નીયમોને આધીન છે. સૂર્યમાળાની રચનાનું સુક્ષ્મ સ્વરૂપ અણુમાં પણ છે. આખું  વ્રુક્ષ બીજમાં અને વિશ્વ નાના અણુમાં સમાયેલું છે. વિશાળ વિવિધતા એ દર્શાવે છે કે તે કોઇ ચોક્કસ યોજનાનો હિસ્સો છે. અને આ બધુ યોજનાબધ્ધ હોત તો તેની પાછળ ચોક્કસ હેતુ હોવો જોઇએ. વિંછી કે ગરોળીનું ઔચિંત્ય આપણે જાણતા નથી. ગુલાબ જેવા સુંદર ફુલ હોવા છતાં થોરના ફુલનું હોવું આપણને અજુગતુ લાગે છે. આપણને સમજાતું નથી, એનો મતલબ એ નથી કે તેના હોવાનો કોઇ હેતુ નથી, જગતમાં દરેકના જીવનનો કોઇ ચોક્કસ હેતુ છે, આ અરાજકતા નથી, સામંજસ્ય છે.

દિવાની આસપાસ ફરતું અને એમાં પડીને જીવન ગુમાવતાં જીવડાના જીવનનો હેતુ સમજવામાં આપણે નિષ્ફળ જઇએ છીએ. હકિકત એ છે કે આપણે અજ્ઞાન છીએ, જેમ જેમ આપણે વધુને વધુ શીખવાનો પ્રયત્ન કરીયે તેમ તેમ આપણી અજ્ઞાનતાની જાણ થતી જાય છે. જગત અનઅપેક્ષીત કોયડાઓનુ સંકુલ છે. એક ઉકેલીયે ત્યાં બીજો સામે આવે પણ એ ચોક્કસ કે દરેકનું અસ્તિત્વ હેતુસભર છે, હેતુવિહિન કશું નથી. આથી આ વિશ્વમાં દરેકે પોતાના હેતુની પૂર્તી કરવાની રહે છે, તો પછી મારા અસ્તિત્વનો હેતુ શું? આ પ્રશ્નોનો ઉદભવ એ માનવ વિકાસ યાત્રામાં સીમાચિહ્નરૂપ અને અર્થસભર છે. મારા જીવનનું ધ્યેય શું? મારા જીવનનો અર્થ શું? આ પ્રશ્નો બાકી બધા વિચારો કે ચર્ચાઓ કરતા વધુ મહત્વનો છે. બાકી બધુ ગૌણ છે. જ્યાં સુધી આ સવાલ ઉદભવ્યો નથી, ત્યાં સુધી પુખ્ત, ભણેલ કે સ્વાસ્થવાન વ્યક્તિ પણ એ બાળકની કક્ષાનો છે જે માને છે કે પાણી નળ પેદા કરે છે. પણ જ્યારે તે બાળક વિકસે અને સમજણો બને તો ધીરે ધીરે તેને સવાલ થાય છે પાણી ખરેખર ક્યાંથી આવે છે? અને તેની શોધમાં તેને સમજાય છે કે હિમાલયમાંથી વહેતી યમુના એ જળને વિવિધ શહેરો અને કસ્બાઓમાં પહોંચાડે છે. શા માટે? ક્યાંથી? ક્યાં હેતુ માટે? અને અંતે શું? એ પ્રશ્નો માનવ મનમાં જ્યારે ઉદભવે ત્યારે તે સાચા રસ્તે હોય, જાત પ્રત્યે જાગૃત મનુષ્ય એ માનવીય ઉત્ક્રાંતીનું સીમાચિહ્ન છે.

અનંતની ભૂખ (આંતરીક ભૂખ – Eternal)
                               મનુષ્ય એ જાણીને આશ્ચ્રર્યચકિત થઇ જાય છે કે જગતમાં કશું જ શાશ્વત નથી, બધુ જ નાશવંત છે. તો પછી પોતાના જીવન વીશે શું? આજે છે, આવતીકાલે ન પણ હોય, તો શું કંઇ એવું છે કે જે શાશ્વત છે અને જો હોય, તો તે શું છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આવી નવી ભુખ તેનામાં ઉઘડે છે. જે માનવ જીવનની ઉચ્ચત્તમ ભુખ છે, આત્મજ્ઞાનની ભુખ. આ મહાપ્રશ્ન તેના મનમાં ઊભો થાય એટલે બાકી બધુ ગૌણ બની જાય છે.
                
 આ પ્રશ્નના ઉકેલ દ્વારા ઉચ્ચતર ભુખને શાંત કરવામાં સાર્થકતા છે, જેમ જેમ મનુષ્ય સાચી દીશામાં વિકાસ કરતો જાય તેમ તેમ સુક્ષ્મ ઇચ્છઓ તેનામાં જાગે. આવી ઉમદા ભુખ બુધ્ધના મનમાં જાગેલી. અગાધ પ્રેમ અને આનંદના ભાવ સાથે આ ઉમદા ભુખને શાંત કરવા માનવને હાંકલ કરેલ. આવા પ્રશ્નોના ઉદભવ સાથે જ ખરા અર્થમાં મનુષ્યનો સાચો જન્મ થયો ગણાય. હવે હેતુસભર જીવનનો પ્રારંભ થાય, ત્યારે જ તે જીવન જીવવાનો ખરો પ્રારંભ કરે છે બાકી ત્યાં સુધી હયાતીથી વિશેષ કંઇ હોતું નથી. જેના જીવનમાં આ પ્રશ્ન ઉદભવ્યો નથી તેણે જીવનનો પ્રારંભ કર્યો નથી.

-નિવેદીતા રઘુનાથ ભીડે                          

યોગ સત્ર-ટાણા પ્રાથમિક શાળા, તા- શિહોર


વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા ટાણા પ્રાથમિક શાળા, તા- શિહોર ખાતે તા.૧૬/૦૨/૨૦૧૫ ના રોજ એક દિવસીય યોગ સત્રનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ. શ્રી મહેશભાઈ ભાદરકા, નિતીનભાઈ ગોહિલ તેમજ એન. જે. દવેએ તજજ્ઞ તરીકેની સેવા આપેલ. જે વિદ્યાર્થીઓને યોગના ફાયદાઓ, સૂર્ય નમસ્કાર, આસનો તેમજ પ્રાણાયમની તાલિમ આપવામાં આવેલ. 



સોમવાર, 9 ફેબ્રુઆરી, 2015

એકનાથજીના વિચારો



આત્મીય ભાઈઓ તથા બહેનો

સપ્રેમ નમસ્કાર.

આપણે ૨૫ ડિેસે. થી ૧૨ જાન્યુ. ના સમયગાળાને સમર્થ ભારત પર્વ તરીકે ઊજવીએ છીએ અને વિવેકાનંદ જયંતિએ તેની પુર્ણાહૂતી કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ સાર્ધ શતિની ભવ્ય ઊજવણી અને હાલમાં એકનાથજી જન્મ શતી પર્વને લીધે એ ઊજવણી શકય તેટલા વિશાળ સ્તરે થવી જોઈએ.  સ્વામી વિવેકાનંદ સાર્ધ શતીમાં સંપર્કિત લોકોનો ફરી સંપર્ક કરવાનો આ અવસર છે. સદભાગ્યે "સફળ યુવા, યુવા ભારત" તેના બીજા કે ત્રીજા  ચરણમાં હશે. આથી એ યુવાનો તેમની કોલેજોમાં સમર્થ ભારત પર્વ અને વિવેકાનંદ જયંતી ઊજવે તેવું આયોજન થઈ શકે. તમે આ દિશામાં આયોજન પૂર્ણ કરી લીધુ હશે.
એ સારૂ રહેશે કે આપણે એકનાથજીના વિચારો જે વિવેકાનંદજીના વિચારોની સમજણ આપતા છે તેવું પુન: સ્મરણ કરીએ.

માનવ જીવનનો પ્રારંભ:  
જો માણસ ભૂખ, ઊંઘ, સ્વરક્ષણ અને પ્રજોત્પતીમાં જ આનંદ મેળવીને અટકી જાય તો તેના અને પશુના જીવનમાં કોઈ ખાસ ફરક નથી. જયારે માણસને એવો પ્રશ્ન થાય કે મારા જીવનનો હેતુ શું? અને આ નાશવંત જગતમાં શાશ્વત શું છે? મારે તે પ્રાપ્ત કરવું જોઈએ-ત્યારે જ સાચી રીતે માણસનો જન્મ થાય છે.

ભારતીય તત્વદર્શનનું હાર્દ (સાર):  
શાશ્વત શું છે? સમગ્ર જગત એક જ ભગવાનનું અનેકરૂપે વ્યકત થવું છે અને આખું અસ્તિત્વ પરસ્વરાવલંબી તથા એકબીજા સાથે જોડાયેલું અને સંબંધીત છે. તો હું પણ આખાય વિશ્વનો એક હિસ્સો માત્ર છું. મારો મૂળ 'સ્વભાવ'-'આત્મા સ્વરૂપ'-ભગવાન જ છે. આ બાબતને સમજી લેવી તથા તેની અનુભૂતી કરવી એ જીવનનું લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદજી કહે છે ''દરેક આત્મામાં દિવ્યત્વ રહેલું છે. જીવનનો હેતું એ દિવ્યત્વને પ્રગટ કરવું તે છે. '' એકનાથજી સ્વામીજીના આ વિચારને સમજાવતા કહે છે. ''આ વાત પર વારંવાર વિચાર કરો અને આત્મસાત કરો. આ ખુબ મહત્વપૂર્ણ વિધાન છે, જેનો દરેક શબ્દ માર્ગદર્શક છે. કોઈ વ્યક્તિઅજ્ઞાનતા,  ખચકાટ કે અસંમતીને લીધે આ વિધાન પર ધ્યાન ન આપે કે કાર્યશીલ ન બને પરંતુ અંતે તો સૌ કોઈએ આ સત્યને સ્વીકારવું જ પડે છે. બીજો કોઈ માર્ગ નથી. આ વાત એ ભારતીય તત્વજ્ઞાનનું હાર્દ છે. જેને આપણે 'ગાગરમાં સાગર' કહી શકીએ.

જીવન ધ્યાને પ્રાપ્તિનો માર્ગ : 
જો શાશ્વત અને દિવ્ય સ્વરૂપને અનુભવવું એ જીવનનું ધ્યેય  છે તો તેની પ્રાપ્તિ માટે આપણા જીવનને એ દિશામાં આગળ વધવા માટે ઢાળવું જોઈએ. એવું જીવન જીવીએ જે આપણને ધ્યેય તરફ લઈ જાય. જીવન એ આપણામાં રહેલા અખંડ આનંદની શોધયાત્રા બને એ જ જીવનનું મીશન છે. આ મીશનને આપણે સમજવાનું છે. ઉ.દા. સ્વામી વિવેકાનંદજી માનવ જીવનના હેતુંની સ્પષ્ટતા શ્રી રામકૃષ્ણ પરમહંસના શ્રીચરણોમાં બેસીને પામ્યા અને એટલે જ એમને પોતાના જીવનનું કાર્ય અને હેતુની પ્રાપ્તિ શ્રીપાદ શિલા, કન્યાકુમારી ખાતે  ધ્યાન દરમિયાન સ્પષ્ટ થઈ. એકનાથજી કહે છે 'એક જીવન, એક લક્ષ'. એમાં બીજો કોઈ મત નથી કે ચર્ચા કે પ્રશ્નની આવશ્યકતા નથી. એ એકવાર નિર્ધારીત થાય છે અને કાયમ માટે હોય છે. કોઈ તેને આજે ઓળખે, ૨૫ વર્ષ કે પછી ૨૫ જન્મોએ ઓળખે, પણ તે એક અને અપરીવર્તનશીલ છે. તો આપણે આજે જ શા માટે ઓળખી ન લઈએ ? યાત્રા ઓછી તકલીફદાયી રહેશે. દરેક માનવ માટે 'મુક્તિ' અથવા 'મોક્ષ' એ જીવન ધ્યેય છે. કોઈપણ માટે બીજો પસંદગીનો વિકલ્પ નથી. જેની ઘોષણા આપણા ઋષિઓએ જગતકલ્યાણ હેતું પ્રાચીન સમયથી જ કરેલી છે અને આપણા પૂર્વજોએ તેની અનૂભુતી અને અનુભવ કરેલ છે. બુધ્ધિમાન માનવ એકવાર આ વાત જાણી લે કે તેનું ગંતવ્ય સ્થાન (લક્ષ) શું છે તો પછી તે લાંબો માર્ગ લેતો નથી કે સમય ગુમાવતો નથી પણ તે શકય એટલા ટુંકા રસ્તે ઉત્સાહપૂર્વક પ્રયાણ કરે છે.

જીવન કાર્યની શોધ 
આપણે જીવન કાર્યની શોધ કેવી રીતે કરી શકીએ? એ તરફની યાત્રા આજે જ શા માટે શરૂ ન કરવી? આપણે સમગ્ર અસ્તિત્વના અંગ હોવાથી, ભારતના પણ અંગ છીએ એટલે આપણા જીવન કાર્યની  શોધ કરતી વખતે ભારતના જીવન કાર્યને ધ્યાને લેવું જરૂરી છે. સ્વામી વિવેકાનંદ પણ જયારે શ્રીપાદ શિલા પર ધ્યાનસ્થ થયા ત્યારે તેમના મનમાં પ્રશ્ન હતો, 'આ મહાન ભૂમિ પતન પામી છે. એવું હું શું કરી શકું જેથી તેનો પુનરુધ્ધાર થાય. જેનાથી વિશ્વ માર્ગદર્શક તરીકેની પોતાની ભૂમિકા ભારત યોગ્ય રીતે નિભાવી શકે?  એ માટે મારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન તેમને જીવન કાર્યની સ્પષ્ટતા તરફ દોરી ગયો. આપણે પણ જાતને પુછી શકીએ કે મારા દેશના વિકાસ માટે હું શું કરી શકું ? આ દેશને એટલો સક્ષમ બનાવવામાં યોગદાન આપી શકું જેથી તે વિશ્વને અસ્તિત્વના એકત્વનો, વિવિધતાની સ્વીકૃતીનો અને માનવમાં રહેલ દિવ્યતાના મહાન સિધ્ધાંતો સમજાવી શકે, મારી અને મારા કાર્યક્ષેત્રની કંઈ વિશેષતાને રાષ્ટ્રહિતમાં વિકસીત કરું? બેશક, દેશબાંધવો માટે પર્યાપ્ત સમય અને શક્તિ આપવા એ આસાન કામ નથી.પણ શું હું સહેલા રસ્તાની શોધમાં રહું ? જો બીજા કરી શકે તો હું કેમ ન કરી શકું ? જો મેં સૌથી અઘરો રસ્તો પસંદ કર્યો છે તો વ્યક્તિગત સ્વાર્થને કોઈ સ્થાન નથી. મારામાંનું શ્રેષ્ઠ બહાર કેમ આવે તે મુખ્ય છે.એકનાથજી આ બાબતમાં કહે છે કે ઊંડા કુવામાં ડુબકી લગાવતા હું ડરું છું પરંતુ જયારે હું બીજાને તેમ કરતો જોઉં છું ત્યારે મારી જાતને પુછું છું જો બીજા કોઈ એ કરી શકે તો હું કેમ ન કરી શકું ? મારામાં કંઈ ખામી છે? શું હું સહેલો રસ્તો પસંદ કરવાવાળો છું ? આપણે ભારતના કાર્યને સામાંતર, સામંજસ્યપૂર્ણ આપણો જીવન પથ નક્કિ કરવો જોઈએ. એકનાથજી સ્વામીજીની એ વાત યાદ અપાવે છે કે દરેક રાષ્ટ્રના શિરે વિધાતાએ વિશ્વકલ્યાણ હેતું વિશેષ દાયિત્વ મુકયું હોય છે. આ ધ્યેયની પ્રાપ્તિ આપણે કઈ રીતે કરી શકીએ ? એમાં મારું યોગદાન શું? મારા જીવનનો હેતું શું? જીવન કાર્ય શું? આપણે નિર્ણય કરવો જોઈએ અને એ રસ્તે આગળ વધવું જોઈએ. સમગ્ર જીવન એ ધ્યેયને અર્પણ કરવું જોઈએ.

આપણે પસંદ કરેલો માર્ગ : કર્મયોગ  
ભારતના હિસ્સા તરીકે આપણું જીવન કાર્ય તેનાથી અલગ ન હોવું જોઈએ.  એ જીવન કાર્યની પ્રાપ્તી માટે કર્મયોગનો માર્ગ આપણે પસંદ કર્યો છે. માતૃભૂમિનું અધ:પતન જોઈને લાગે છે કે જ્ઞાનની ભૂમી, અજ્ઞાનની ભૂમી બની છે, સમુધ્ધ ભૂમિ ગરીબાઈમાં સપડે છે. ઋષિઓના સંતાનો કીડા-મકોડાનું જીવન જીવી રહયાં છે. સમુદ્રલાંધન પાપ ગણી બેઠા છે. લોકમાન્ય તીલક, સ્વામી વિવેકાનંદ જેવા ઘણા મહાપુરુષોએ આપણને કર્મમાર્ગે ચાલવા પ્રેરણા આપી છે. વિવેકાનંદનો સિંહનાદ છે કે કાર્ય એ જ પુજા, તેમણે કાર્ય અને પૂજા કહયું નથી કે એમ પણ કહયું નથી કે પૂજાની જેમ કામ કરો પણ બહું સ્પષ્ટ રીતે કહયું છે કે 'કાર્ય એ જ પૂજા'.
જયારે આપણે કહીએ છીએ કે આપણે કર્મયોગનો માર્ગ પસંદ કર્યો છે તો તેનો અર્થ એ નથી કે અન્ય યોગને આપણે નકાર્યો છે.
એકનાથજી ખુબજ સુંદર રીતે આ વાત સમજાવે છે કે જયારે કોઇ VIP આવે છે. હું તેમની સાથે શિલા સ્મારકની મુલાકાતે જાવ છું અને કયારેક બધુ જ જોયા બાદ તેઓ નોંધપોથીમાં નોંધ લખે છે, ''આ કેવું સુંદર છે ! અમે ત્રણ સમુદ્રનું મિલન જોઈ શકીએ છીએ અને ત્રણેય સમુદ્ર અરેબીયન સી, ઇન્ડીયન ઓશન અને બંગાળની ખાડી ત્રણેયના અલગ-અલગ રંગ જોઈએ છીએ '' હું તેમની નોંધની પ્રશંસા કરું છું. મને આશ્ચર્ય થાય છે કે શું એ ખરેખર જુદાં જુદાં ત્રણ સમુદ્ર છે?  સમુદ્ર તો એક જ છે. આપણી સુવિધા માટે આપણે તેને જુદાં જુદાં  નામ આપ્યા છે અને દરેકના પાણીનો રંગ એક જ છે; પરંતુ તળિયાના ઊંડાણ અને કીનારાની સકડાશના લીધે અથવા આકાશના કિરણોના પ્રતિબિંબ ને લઈને આપણને પાણીના કલરમાં ભેદ જણાય છે. આવું જ જીવનના સ્વરૂપનું છે. ઓળખાણ માટે એકબીજાથી અલગ તારવવા માટે આપણે તેને જુદાં જુદાં નામ આપ્યાં છે. આકારહિન બાબતોને પણ આપણે નામ આપ્યા છે. ગુણોને વિવિધ નામે ઓળખીએ છીએ, પરંતુ આ બધા વચ્ચે 'વોટર ટાઈટ કપાર્ટમેન્ટ' જેવું નથી. એક ગુણમાં બીજા સમાયેલા હોય છે. પરંતુ જે ગુણ પ્રબળ હોય આપણે તેને તે નામે ઓળખીયે છીએ. આપણે વિવેકાનંદજીને જ્ઞાનયોગી, કર્મયોગી, ભક્તિયોગી કે રાજયોગીમાંથી શું કહેવું પસંદ કરીશું ? હકિકતમાં કોઈ પણ યોગમાર્ગ બીજા યોગમાર્ગની હાજરી વગર અધુરો છે. જે કિસ્સામાં જે યોગમાર્ગની પ્રબળતા હોય તે નામ આપી શકાય. આથી કર્મયોગના માર્ગે સફળતાપૂર્વક આગળ વધવા ઇચ્છનારે આત્મસંયમ, સ્પષ્ટ દ્રષ્ટ્રિ અને એ કે જે વિરાટ સ્વરૂપે માનવ સમાજ રૂપે પ્રગટ થયેલ તેને માટે સંપૂર્ણ સમર્પણ કરવું રહયું. આથી આપણે સ્વામીજીના સંદેશ "માનવ સેવા એ જ માધવ સેવા" પ્રત્યે પ્રબળ કટીબધ્ધતા સાથે સમાજની સેવા કરીશું  

આદર્શ સમાજ નિર્માણ એ ઉચ્ચતમ સેવા :- 
સમાજ માટે કઇ ઉચ્ચત્તમ સેવા આપણે કરી શકીએ ? સેવાના અલગ-અલગ સ્તર છે. ભૂખ્યાને ભોજન, બિમારને સારવાર, અભણને અક્ષરજ્ઞાન વિ. મૂળભુત પશ્ન એ છે કે જગતમાં ઘણા બધા લોકોને જીવનજરૂરી વસ્તુ મળતી કેમ નથી? કારણ, સામાજિય વ્યવસ્થા ખોરવાયેલ છે. જગતમાં દરેક સમાજ પોતાની સમજ પ્રમાણે આદર્શ સમાજમાં નિર્માણમાં લાગેલ છે પણ હજુ સુધી સફળ થયેલ નથી. આદર્શ સમાજમાં શોષણને કે પોતાનાથી ભિન્ન પૂજા પધ્ધતિ અનુસરનાર પ્રત્યે  અસહિષ્ણુતાને સ્થાન નથી. પરસ્પર  ભાઇચારો, એકબીજાની કાળજી અને સહકાર આદર્શ સમાજ માટે જરૂરી છે. તો જ દરેકની પ્રાથમીક જરૂરીયાતનું ધ્યાન રાખી શકાશે. જો કોઈ સમાજ કે રાષ્ટ્ર આદર્શ સમાજના નિર્માણમાં મોટા પ્રમાણમાં સફળ થયેલ તો તે ભારતીય સમાજ હતો. પરંતુ વિવિધ કારણોસર આદર્શ સમાજના ઋષિ ચિંતનને આગળ ધપાવવામાં આપણે નિષ્ફળ રહયાં.

રાષ્ટ્રીય પુનરુત્થાન એટલે આવી આદર્શ સમાજ વ્યવસ્થાનું પુન: સ્થાપન. સામાજિક બંધુત્વની મજબુતાઈ અને પારસ્પરીક સ્નેહ અને સહયોગ પર જ મજબુત રાષ્ટ્ર સંભવ બને. હા, ચેતનવંતી આર્થિક વ્યવસ્થા, મજબુત લશ્કર, ટેકનોલોજીની સધ્ધરતા એ બધું જોઈએ પરંતુ જો આદર્શ સમાજ બનાવવો હોય, વિકાસને સ્થાયી બનાવવો હોય તો સામાજિક સમરસતા, જીવંત ભાતૃભાવ, બીજાની દરકારનો સ્વભાવ અને આધ્યાત્મિક જોડાણ આવશ્યક છે. સૈકાઓ સુધીના કેટલાય હિંસક આક્રમણો  છતાં ભારત જીવંત છે તેણે પોતાની ઓળખ બનાવી રાખી છે કારણ કે ભારતીય સમાજ સૌનો સ્વીકાર આધ્યાત્મ આધારિત એકત્વના મજબુત પાયા પર કરે છે. સમાજમાં દરેકને સ્થાન તથા વિકાસના અવસર ઉપલબ્ધ છે. ફરી આપણા સમાજના આ આધારને મજબુત બનાવવાની આવશ્યકતા ઊભી થઇ છે. જો આપણે આ માર્ગે આદર્શ સમાજ વ્યવસ્થા નિર્માણ કરી શકીએ તો એ માનવજાતની ઉત્તમોત્તમ સેવા ગણાશે. એકનાથજી કહે છે: એવી સમાજ વ્યવસ્થા જે દરેકને  ભૌતિક ઉન્નતિ માટે વિપુલ તકો આપે જ પણ સાથોસાથ આધ્યાત્મિક ઉત્થાનનો અવસર પણ આપે. આદર્શ સમાજમાં શોષણ કે ગળાકાપ હરીફાઈને સ્થાન નથી કે 'બળીયાના બે ભાગ'વાળી નીતિ કે જેનાથી નબળાના અવસર પર જ નહિ પણ અસ્તિત્વ પર પણ સવાલો ઊભા થાય એવા વિચાર કે વ્યવહારને કોઈ સ્થાન નથી. અંધ અને પંગુ સહીયોગથી આનંદપૂર્ણ જીવન જીવે કારણ જગત અપૂર્ણ માણસોનું બનેલું છે. કોઈ પૂર્ણ નથી. આ તમામ અપૂર્ણ એવી રીતે વર્તે, જીવે કે એકની આવડત બીજાની અનઆવડતની પૂર્તતા બને. હું બધા માટે, બધા મારા માટે. સૌ આંનદપૂર્ણ – આવી વ્યવસ્થા.

પ્રૃથ્વીના કોઈ હિસ્સામાં કોઇકે આવી વ્યવસ્થા સ્થાપી હોય અને તેમનું કહેવું હોય કે આવો અને જુઓ કે અહિં કોઇ શોષણ નથી, અહીં સૌ એક થઇને એક પરીવાર તરીકે જીવે છે. સૌની ભૌતિક જરૂરીયાતો સંતોષાય છે કોઈ ભૂખ્યુ, તરસ્યુ કે અજ્ઞાની નથી. એટલુ જ નહિં તેની આધ્યાત્મિક જરૂરીયાત પણ પૂર્ણ થાય છે ત્યારે જ તે સમાજ શોષણની ભાવી સંભાવનાઓથી મુકત બનશે. જો જગતના કોઈ પણ ખુણામાં આવો પ્રયોગ સફળતાને વરે તો તે માનવની સૌથી મોટી સેવા ગણાશે. જગત આ માટે ભુખ્યુ છે, તરસ્યુ છે.

જીવંત ઉદાહરણ બનીએ
 આથી આપણું મુખ્ય કર્તવ્ય જગત કલ્યાણ માટે ભારતને મજબુત બનાવવાનું છે. ત્યાગ અને સેવાના આદર્શો થકી આ સંભવ બનશે.આદર્શ સમાજ માટે આપણે વિશ્વ સમક્ષ જીવંત દાખલો બેસાડવો પડશે. આપણી સામાજીક દાયિત્વ પ્રત્યેની કટીબધ્ધતા કેટલી? નિ:સ્વાર્થ સેવા માટે હું કેટલો સમય અને શક્તિ આપીશ? સ્વામી વિવેકાનંદ આપણને કહે છે "એજ બરોબર જીવે છે, જે બીજા માટે જીવે છે, બીજા જીવતા કરતા મરેલા વધું છે" કારણ કે જેને આપણે 'અન્ય' કહીએ છીએ તે બીજા નથી પરંતુ એ મારા વિસ્તારીત રૂપનો જ હિસ્સો છે. આ વાતની આપણે જેટલી અનુભૂતી કરીશું તેટલા વધુ ને વધુ લોકો પ્રમાણીકતાથી તન-મન-ધનથી સમાજ હિતાર્થે કાર્યરત થશે અને નિ:સ્વાર્થી સમાજનું ગઠન સાકાર બનશે. સ્વામીજીએ આપણને સોંપેલુ અને એકનાથજીએ કેન્દ્રના મુળ વિચાર તરીકે અપનાવેલુ કાર્ય આ છે.

જરૂર છે સાચી શ્રધ્ધાની 
આ કાર્ય કરવા માટે શ્રધ્ધાની જરૂર છે. આપણી જાતમાં શ્રધ્ધા.  આપણામાં રહેલ દિવ્યતામાં શ્રધ્ધા. એકનાથજી કહે છે માણસમાં શ્રધ્ધા બે પ્રકારની હોય. એક બૌધ્ધિક અને બીજી વ્યવહારીક અથવા વાસ્તવિક શ્રધ્ધા. આત્માની અમરતા પર બૌધ્ધિક વિશ્વાસ ધરાવનાર વ્યક્તિના અંતરમનમાં એ શ્રધ્ધા સાકાર થઈ હશે નહિ તો તે સિધ્ધાંત તેના રોજબરોજના વ્યવહારમાં ઝળકશે કે નહિ તે પ્રશ્ન છે. સમયે ઉભો ન રહે અને ઉમદા હેતુ માટે જીવન દાવ પર લગાવતા ડરે એ ચોખ્ખુ બતાવે છે કે તેની આત્માની અમરતા અને જીવનની દિવ્યતા વર્ણવતી વાણી હોઠોના શૃંગારથી વિશેષ કશું નથી. બૌધ્ધિક શ્રધ્ધા વ્યક્તિને ઘેટું બનાવે જયારે વ્યવહારિક શ્રધ્ધા સિંહ બનાવે. શ્રધ્ધાવાન બનીએ. સિંહ બનીએ. ઉમદા જીવનકાર્ય માટે સંઘર્ષ કરીએ.
  પ્રાર્થના સહ    
 નિવેદિતા ભીડે

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2015

પ્રજાસતાક દિન નિમિત્તે પ્રાસંગીક : બંધારણનુ મૂલ્ય

        સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વએ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આ બન્ને પર્વોનું મહત્વ સર્વોચ્ચ હોવુ જોઇએ. સ્વતંત્રતા શરીર છે તો બંધારણ તેનો પ્રાણ છે. સ્વતંત્રતા મહામૂલી હોવાથી અસંખ્ય દેશભક્તોએ તેની પ્રાપ્તિ માટે પોતાના પ્રાણની આહૂતિ આપી. આઝાદી પછી આબાદી માટે લોકશાહીના કરોડરજ્જુ સમા બંધારણ પ્રત્યેની વફાદારી અપેક્ષિત નહિ, અનિવાર્ય છે.

        વ્યક્તિગત આસ્થાના સ્તરે આપણા આરધ્ય દેવ-દેવી ભિન્ન હોઇ શકે, કોઇ ભગવાનને, કોઇ અલ્લાહને,કોઇ ઇશુને કે કોઇ અન્ય વંદનીય આરધ્યની ઉપાસના કરી શકે પરંતુ સામૂહિક સ્તરે આપણુ આરાધ્ય આપણું ‘ભારત’ છે. ‘રાષ્ટ્ર એ જ દેવ.’

         એવી જ રીતે શ્રધ્ધેય ગ્રંથ- ગીતા, કુરાન, બાઇબલ કે અન્ય પવિત્ર ધર્મગંથ હોય શકે. પરંતુ સામૂહિક સ્તરે આપણા સૌ માટે ભારતીય બંધારણ એ જ ઉપાસ્ય ગ્રંથ છે.

        જે લોકો ધાર્મિક લાગણી દુભાયાની વાત કરી રાષ્ટ્રીય વિકાસને, રાષ્ટ્રની પ્રભુસત્તાને, સંરક્ષણને, સંસ્કૃતિને પુષ્ટ કરનારી બાબતોમાં રોડા નાખે છે તેઓ અધાર્મિક છે.

        ભારતની જન સંખ્યા જણાવવી લગભગ કોઇના માટે અઘરી બાબત નથી પરંતુ ‘ભારતીય નાગરિક’ ની સંખ્યા અંગેના પ્રશ્નમાં કોઇપણ વિશારશીલ અનઉત્તર થઇ જશે ! જન્મ સાથે આપણને ભારતિય નાગરિક્ત્વ પ્રાપ્ત થાય છે પરંતુ સાચી રીતે તો જ્યારે કોઇપણ વ્યક્તિમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને જવાબદારીપણું વિકાસ પામે ત્યારે જ તે નાગરિક બને છે.

        સ્વતંત્રતામાં અધિકાર પ્રાપ્તિનો આનંદ હોય છે. તો બંધારણ પાલનમાં ફરજનિષ્ઠાનો સંતોષ. આનંદ જીવનમાં આવશ્યક છે. પણ તે “ સર્વ જન સુખાય. સર્વ જન હિતાય” હોય તે જરૂરી છે અથવા તેમાં બાધક ન હોવો જોઇએ.

        સ્વાતંત્ર્ય એ એક જવાબદારી છે. તેમાં આપણી પાસે શાલીનતાની અને જાગૃતિની અપેક્ષા છે દરેક જવાબદારી –પડકારો ને પહોંચી વળવા માટે  ચોક્કસ નીતિ-નિયમો એટલે કે બંધારણની આવશ્યાકતા છે. કિનારા વગર નદી પોતાનું અસ્તિત્વ ખોઇ નાખે તેમ નિયમો ના પાલનમાં બેફિકર કે ઉદાસીન અને માત્ર અધિકાર અને હક્કો માટે લાલાયિત સ્વાતંત્ર્ય  એટલે સ્વછંદતા. લોકશાહી એ સામૂહિક સ્વરૂપ છે પરંતુ વ્યક્તિગત ફરજનિષ્ઠા અને જવાબદારીપણું લોકરાજને મજબુત બનાવે છે.  સ્વાતંત્ર્યતાના વાતાવરણમાં અધિકારોની પ્રાપ્તિની લડાઇઓ વચ્ચે સમજણની વાત એ છે કે અધિકાર અને ફરજ પરસ્પર જોડાયેલ  છે. એક પિતા પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે તો તેના સંતાનોને પોતાના અધિકારો  આપોઆપ પ્રાપ્ત થશે. એક પતિની ફરજ તેની પત્નિના અધિકારોની સુરક્ષા કરશે. જેવું સામાજિક જીવન્માં, તેવું જ વ્યવસાયિક ક્ષેત્રમાં, તેવું જ રાજકીય અને અન્ય ક્ષેત્રોમાં, એટલે અધિકાર પ્રાપ્તિની લડાઇઓ પડતી મુકી, ફરજ અદાયગીનું અભિયાન ઉપાડીશું તો સમાજની ઘણી અવ્યવસ્થા, વિખવાદ, અસહિષ્ણુતા, હિંસા આપોઆપ શમી જશે.

        રાષ્ટ્રીય પર્વની ઊજવણીનું લક્ષ્ય જવાબદાર અને ફરજનિષ્ઠ નાગરિક ઘડતર માટે ભાવાવરણ નિર્માણ કરવાનું, રાષ્ટ્રીય સંસ્કારોનું વાવેતર, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું હોવું જોઇએ. એટલે કે આપણે એ પ્રકારે પ્રજાસત્તક દિન ઊજવીએ તો એ ઊજવણી સાર્થક ગણાય.

નરેન્દ્ર જી. ત્રિવેદી.
      પ્રમુખ, ગુજરાત પ્રાંત
   વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી